…
આજ મધ્યરાત્રિથી આકાશમાં લીઓનીડસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો
દુનિયાભરમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો નિહાળવા જાથાની અપીલ.
વિશ્વમાં આજથી ૩૦ નવે. સુધી સ્પષ્ટ ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો.
મધ્યરાત્રિ બાદ પરોઢે નિહાળવાનો શ્રેષ્ઠ સમય.
તા. ૧૬ મી થી તા. ૧૮ મી નવેમ્બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્કા વર્ષા.
રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાનું આયોજન.
અમદાવાદઃ દુનિયાભરના લોકોએ ઓકટોબરમાં ડેક્રોનીકસ અને ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની આતશબાજી તથા તા. ૧-૨ નવેમ્બરે ટોરીડસ ઉલ્કા વર્ષા નિહાળી હતી. બીજા તબક્કામાં વિશ્વના લોકો મધ્યરાત્રિ બાદથી ૩૦ નવેમ્બર સુધી લીઓનીડસ ઉલ્કાવર્ષાનો સ્પષ્ટ અવકાશી નજારો નિહાળવા થનગની રહ્યાં છે. તા. ૧૬ થી તા. ૧૮ મી નવેમ્બર વહેલી પરોઢ સુધીમાં ઉલ્કા વર્ષા મહત્તમ જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખી તૈયારી આરંભી દીધી છે. ત્યારે રાજયના વિજ્ઞાનપ્રેમીઓને અવકાશી ઉલ્કાવર્ષાનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન કર્યું છે.
‘જાથા’ ના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બરના પ્રારંભથી તા. ૩૦ સુધી સિંહ રાશિની લીઓનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકથી ૧૦ થી ૧૫ અને વધુમાં વધુ ૧૦૦ (એકસો) ઉલ્કા વર્ષા અવકાશમાં જોવા મળે છે. ત્રણ દિવસ અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળશે. સિંહની ઉલ્કાવર્ષાને ધૂમકેતુ ટેમ્પલ સાથે જોડવામાં આવે છે. ઉલ્કાઓનું કેન્દ્રબિંદુ સિંહરાશિમાં હોવાથી તેને સિંહની ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે. ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં દ્રશ્યમાન જોવા મળશે.
વધુમાં પંડયા જણાવે છે કે લીઓનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તારીખ ૧૬/૧૭/૧૮ નવેમ્બર મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢ સુધી અવકાશમાં જોવા મળશે. ખગોળપ્રેમીઓ ત્રણ દિવસ રાત્રિના ઉલ્કાવર્ષા જોઈ શકશે. આ અદ્દભુત જોવાનો લ્હાવો છે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧૨ વખત અને વધુમાં વધુ ૧૫ વખત ઉલ્કાવર્ષા અવકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. જાથાના પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જોવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જોવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×૫૦ નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે.
જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જોઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. લીઓનીડસ ઉલ્કા વર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, મોરબી, ગોધરા પંચમહાલ, અરવલ્લી મોડાસા, નર્મદા તાપી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ આહવા, રાજપીપળા વિગેરે નાના-મોટા નગરોમાં એક કે બે દિવસીય મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.
લીઓનીડસ ઉલ્કાવર્ષાનો નજારો નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રાજુ યાદવ, દિનેશ હુંબલ, હરેશ ભટ્ટ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઈ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, ભોજાભાઈ ટોયટા, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, ભાનુબેન ગોહિલ સહિત અનેક સદસ્યો આ અભિયાનમાં જોડાયા છે.
રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : ૯૮૨૫૨ ૧૬૬૮૯ થા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં ખગોળીય ઘટના જોવા લોકો ઉત્સુક થાય તેવા જાથાના પ્રયાસને ટેકો આપી વિગતવાર પ્રસિદ્ધ કરવા નમ્ર પ્રાર્થના.
તા.ક. જાથાને આપનો સદૈવ ટેકો મળે છે તેનો આનંદ છે. ઋણ સ્વીકાર સાથે આભાર સહ.
ભારત જન વિજ્ઞાન જાથા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











