“રાજયમાં ગણેશ મહોત્સવ, નવરાત્રિમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે.”
રાજયના ૩૩ જિલ્લામાં જાથાના અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો યોજાશે.
સ્વૈચ્છિક સંસ્થાઓ અને મંડળોને કાર્યક્રમ યોજવા અપીલ.
અમદાવાદ : આગામી દેશભરમાં ગણપતિ અને નવરાત્રિ મહોત્સવમાં લોકોમાં અંધશ્રદ્ધા દૂર
કરવાનો લોકજાગૃતિ કાર્યક્રમ ભારત જન વિજ્ઞાન જાથા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે અમલમાં મુકેલ છે. દેશભરમાં એકમાત્ર જાથા દસ હજારથી વધુ સ્ટેજ કાર્યક્રમો આપી અગ્રેસર છે. ભારત જન વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારાણાર્થે ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ દેશ-વિદેશમાં અતિ લોકપ્રિય બન્યો છે. જાથાએ વર્ષ ૧૯૯૨ થી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં રાજય, પ્રાદેશિક અને ૧૪ શાખાઓની મદદથી ૧૦૦૬૩ જનજાગૃતિના સ્ટેજ કાર્યક્રમો આપ્યા છે. દેશમાં દોરા-ધાગા, ચમત્કારના નામે છેતરપિંડી કરનાર ૧૨૭૪ ધતિંગબાજોનો જનહિતાયે પર્દાફાશ કર્યા છે. ૩૫૦૦ ધૂણતા અને સવારી આવતા ભુવા, ફકીરો, મુંજાવરો, લેભાગુઓને બંધ કરાવ્યા છે.
જાથાનો જનજાગૃતિ કાર્યક્રમની શરૂઆતમાં શાળા, કોલેજો, છાત્રાલયો, સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો, સામાજિક – રાષ્ટ્રીય પ્રસંગો, સરકારના ગ્રામ સભામાં આયોજન કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના ત્યૌહાર, ઉત્સવો, ધાર્મિક પ્રસંગો, સપ્તાહ, પારાયણ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, નવરાત્રિ મહોત્સવ વિગેરેમાં મહત્તમ આયોજન થાય છે. રાજયમાં જાથાના કાર્યક્રમની જબરી માંગના કારણે ગુજરાતના ૩૩ જિલ્લા જેવા કે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, પાલનપુર, મહેસાણા, પાટણ વિગેરે તથા તેના તાલુકા તથા ગ્રામ્ય મથકોમાં ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ વહેલા તે પહેલા ધોરણે નોંધણી, વિગત, નિયમોની જાણકારી મેળવી, સંમતિપત્રક મેળવી લેવાનું રહેશે. ત્રણ કલાકનો સ્ટેજ કાર્યક્રમ જ્ઞાન-વિજ્ઞાન સાથે અંધશ્રદ્ધા નિવારણ કેન્દ્રમાં રાખીને જ આયોજન પ્રચાર-પ્રસાર થાય છે. લોકોની ધાર્મિક લાગણી ધ્યાનમાં રાખી આયોજન હોય છે. જાથાએ ભગવાન, ઈશ્વર, અલ્લાહ કે ધાર્મિક શાસ્ત્રોનો કદી વિરોધ કર્યો નથી.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાનું વૈજ્ઞાનિક જ્ઞાનલક્ષી તેજાબી વકતવ્ય દેશભરમાં અતિ લોકપ્રિય છે. તેમને સાંભળવા સ્વયંભુ લોકો ઉમટી પડે છે. તેઓ ભૂત, પ્રેત, છાયો, મામો, જીન્નાત, ડાકણ, આસુરી-મેલીવિદ્યાનો ભાંડાફોડ કરી વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો ઉપર દાખલા-દલીલ સાથે સમજ આપવામાં આવે છે. માનવીને તેના અહંમ, પૂર્વગ્રહો નડે છે. જીવતા માણસો જ નડે છે તેની માહિતી આપે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગસૂઈ, ફળકથનો, નિવારણ વિધિઓ કેટલી નિરાધાર, બોગસ, અવૈજ્ઞાનિક છે તેની વિજ્ઞાન આધારપુરાવા સાથે રજૂ કરવામાં આવે છે.
જાથાની ટીમના સદસ્યો એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, બેડી તૂટવી, નજરબંધી, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, કર્ણપિશાચ વિદ્યાથી કાનેથી ચિઠ્ઠી વાંચવી, હઝરતના ગોળામાં જોવું, બોલતું તાવીજ, ઈલમનું ડિંડક, હવામાં શરીરનું સ્થિર રહેવું જેવા નિદર્શન કરી સ્થળ ઉપર જ શીખડાવી દેવામાં આવે છે. કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ રાજકોટથી સ્પેશ્યલ વાહનનું આવવા-જવાનું ભાડું, રહેવા, ભોજન તથા કેમીકલનો ખર્ચ ભોગવવાનો રહેશે. ગણેશ મહોત્સવ બાદ નવરાત્રિના કાર્યક્રમની નોંધણી કરવામાં આવશે.
રાજયમાં જાગૃતો, ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ તથા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ઈ-મેઈલ: bjvjoffice@gmail.com.
માન. તંત્રીશ્રી
જનહિતાયે પ્રગટ કરવા પ્રાર્થના.
ભારત જન વિજ્ઞાન જાથા
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા