મહિલા ડાકણ છે શંકા-કુશંકામાં હુમલો કરતાં એકનું મોત, બે ને ગંભીર ઈજા અરેરાટી.
ડાકણમાં પુરાવો મુશ્કેલ છતાં ૨૧ મી સદીમા કુપ્રથાથી સમાજ હતપ્રત… જયંત પંડયા.
બંને પરિવારોમાં ઝઘડા આગળ ન વધે તે માટે જાથાએ સ્થળ ઉપર મુલાકાત લીધી.
ડાકણની કુપ્રથા નાબુદ માટે સરકારે અસરકારક પગલાં ભરવા જરૂરી… જાથા.
પાલ અને ચિઠોડા પોલીસ સ્ટેશને ગામમાં બંદોબસ્ત ગોઠવ્યો.
હુમલો કરનાર કુલ ૧૨ ની પોલીસે ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગ.
મહિલાઓ ઉપર ડાકણનો અત્યાચાર બંધ થવો જોઈએ.
સાબરકાંઠા જિલ્લા પોલીસ – ચીઠોડા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.
અમદાવાદ : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વોકડા ગામમાં ડામોર
પરિવાર ઉપર ડાકણનો આરોપ મુકી સામુહિક હુમલો કરતા એક વ્યક્તિનું મોત અને બે ને ગંભીર ઈજા પહોંચતા પોલીસે ૧૨ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ડાકણની શંકા-કુશંકામાં ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે રૂબરૂ મુલાકાત કરી બંને પરિવારો વચ્ચે સેતુ બની વધતો ઝઘડો અટકાવ્યો હતો. ૨૧ મી સદીમા મહિલાઓ ઉપર ડાકણની માનસિકતા અત્યાચાર બંધ થવો જોઈએ તે દિશામાં જાથાએ કામગીરી હાથમાં લઈ સરકારને કુપ્રથા નાબુદ માટે રજૂઆત કરનાર છે.
બનાવની વિગત પ્રમાણે ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાડી વોકડા ગામે બે પરિવારો વચ્ચે ડાકણ પ્રથાની માનસિકતાના કારણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ડામોર પરિવા ઉપર સામા પક્ષે સામુહિક હુમલો કરતાં એક વ્યક્તિનું મોત, બે વ્યક્તિ જીવન-મરણ સામે ઝઝુમી રહ્યા છે. સમગ્ર પંથકમાં અરેરાટી સાથે અજ્ઞાનતાના કારણે માનવતાને શરમાવે તેવી ઘટનાની નિંદા કરવામાં આવી હતી. મનુભાઈ ડામોરની પત્નિ ડાકણ છે તેના કારણે અમારા ઘર-પરિવારમાં સારું થતું નથી, બિમારી, બેરોજગારી, આકસ્મિક ઘટનાઓ બને છે તેવી દ્રઢ શંકાના કારણે હુમલોનો બનાવ બન્યો હતો. સામા પક્ષના લોકો સામુહિક રીતે ધોકા-પાઈપ, પથ્થર, લાકડી લઈ આવી હુમલો કરતા પત્નિને બચાવવા જતા પતિ મનુભાઈ ડાકોર અને પરિવારના બે સદસ્યોને ગંભીર ઈજા થઈ હતી. તેમાં કુહાડીના ઘા ના કારણે મનુભાઈનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે હુમલો કરનારા ૮ પુરૂષ ૪ મહિલાઓની ધરપકડ કરી કાર્યવાહી આરંભી દીધી હતી. ડાકણના વ્હેમના કારણે હિંસક હુમલો કારણભૂત બનતા જાગૃત સમાજ હતપ્રત થઈ ગયો હતો.
રાષ્ટ્રીય ચેનલ મારફત વિજ્ઞાન જાથાને સમગ્ર હકિકતની વાત કરી ઈન્ટરવ્યુમાં હુમલાની હિંસકતા બતાવતા રૂબરૂ મુલાકાતની ખાત્રી આપી હતી.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ ડાકણ કુપ્રથામાં ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થળ ઉપર જવાનું હોવાથી પોલીસ બંદોબસ્ત–રક્ષણ માટે રાજયના મુખ્યમંત્રી, ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી હકિકત દર્શાવી હતી. તુરંત પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો હતો. રાજકોટથી જાથાના ચેરમેન જયંત પંડયા, રવિ પરબતાણી ગુલાબસિહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ સહિત ટીમ ગાડી વોકડા ગામે જવા રવાના થઈ ચિઠોડા પોલીસ સ્ટેશને પો.ઈન્સ. મેડમ તરાલને મળી વાત કરતાં પોલીસ કાફલો ગાડી વોકડા ગામે સ્થળ ઉપર પહોંચી ગયો.
જાથાના જયંત પંડયાએ ડાકણ પ્રથાનો ભોગ બનેલ ડામોર પરિવારના ઘરે મુલાકાત કરી હાજર પરિવારોને સૌ પ્રથમ હિંસક હુમલામાં ભોગ બનેલ મનુભાઈ ડામોરને શ્રદ્ધાંજલિ આપી સાંત્વના પાઠવી હતી. સમગ્ર હકિકત મેળવી ઉપયોગી થવાની ખાત્રી આપી હતી. માનવી મંગળ ચંદ્ર ઉપર વસવાટની તૈયારી કરી રહ્યો છે ત્યારે ડાકણ શબ્દની માનસિકતાની નિંદા કરી હતી. અંધશ્રદ્ધાના દુષણમાં નિર્દોષે જીવ ગુમાવ્યો તે શરમજનક છે. પરિવારની પુત્રવધુ રેણુકા ડામોર, ભત્રીજા દિનેશ ડામોરએ બનાવનો ચિતાર આપ્યો હતો. હુમલાથી અમો હતપ્રત થઈ ગયા હતા. લાકડી, પથ્થર, કુહાડી જોઈ નાસભાગ મચી ગઈ હતી. મૃતક મનુભાઈને ઢસડીને ફળીયામાં લાવી કુહાડીથી હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેનું અમદાવાદ સારવાર દરમ્યાન મોત થયું હતું. ગામના સરપંચ નાગજીભાઈ નિનામાએ આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગણી કરી હતી. આજે પણ મહિલાઓને ડાકણ કહી નિશાન બનાવવાની માનસિકતા કલંક સમાજ માટે છે જે નાબુદ સરકાર, લોકસમુહ જ કરી શકે તેવી હકિકત આપી હતી.
એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે જાથા ડાકણની કુપ્રથા ૨૧ મી સદીમાં જોવા મળે છે તે શરમજનક છે. તેમાં પણ હિંસક હુમલો માનસિકતાના દર્શન જોવા મળે છે. વિકાસની વાતો વચ્ચે ગ્રામ્ય સ્તરે સ્થિતિ જુદી જોવા મળે છે છતાં જાથા બંને પરિવારો વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર ન બને તે માટે કટિબદ્ધ છે. સામે પક્ષના ૧૨ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હોય ઘર બંધ કરી અન્યત્ર જતા રહ્યા હતા. તેની વચ્ચે રૂબરૂ મળતા જાથાએ સાચી હકિકત વાત કરતા શંકા-કુશંકા, ઉશ્કેરાટમાં થઈ ગયું છે. અફસોસ, આઘાત છે. અમારા જ પરિવારના હોય ક્ષોભ અનુભવીએ છીએ. બનાવ સંબંધી વારંવાર હાથ જોડતા હતા. મોટી ભુલથી પરિવારને રોજીંદો ખર્ચ, રાશન વિગેરેની ચિંતા નજરે જોઈ શકાતી હતી. બંને વચ્ચે સેતુ બંધાઈ તેવો પ્રયાસને સમગ્ર પંથકમાં જાથાની પ્રશંસા જોવા મળતી હતી. કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. પો.ઈન્સ. મેડમ આર. ડી. તરાલે પોતે હાજર રહી સ્થાનિક પરિસ્થિતિ સંભાળી હતી. પોલીસ સ્ટાફ બધે ગોઠવાઈ ગયો હતો. જાથાએ સાબરકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાનું કરૂણ ચિત્ર બહાર આવ્યું હતું. રસ્તામાં વાહનને રોકી ગ્રામજનો સાથે વાત કરી હતી. લોકો જાથાને મળી રાજી–રાજી થઈ ગયા હતા.
વિજ્ઞાન જાથાના સદસ્યો રવિ પરબતાણી અને રોમિત રાજદેવે અંતરિયાળ ગામોમાં જઈ પત્રિકા વિતરણ કર્યું હતું. જાથા દેશ આખામાં લોકોને જોડવાની સાથે માનવ ધર્મનું પ્રણેતા છે તેની હકિકત આપી હતી.
આ ઘટના માત્ર એક પરિવાર પર થયેલો હુમલો નથી, પરંતુ સમગ્રસમાજ માટે ચેતવણી સમાન ઘટના છે. જયાં શિક્ષણ અને વૈજ્ઞાનિક વિચારસરણીનો અભાવ હોય ત્યાં અંધશ્રદ્ધા જેવી કુપ્રથાઓ જન્મ લેતી હોય છે. ડાકણ, જાદુ-ટોણા અને મેલી વિદ્યાના નામે લોકો આજે પણ માનસિક અને શારીરિક અત્યાચારનો ભોગ બની રહ્યા છે. પોશીના સહિતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેના કારણે ફરી એકવાર સમાજમાં ચર્ચા જાગી છે કે વિકાસની વાતો વચ્ચે છેવાડાના સમાજ સુધી શિક્ષણ અને જાગૃતિ હજુ કેમ પહોંચી શકી નથી. ખાસ કરીને મહિલાઓને ડાકણ કહી નિશાન બનાવવાની માનસિકતા સમાજ માટે કલક સમાન ગણાઈ રહી છે. એક તરફ દુનિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અવકાશ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશી રહી છે. માનવ જાત ચંદ્ર અને મંગળ પર જીવન શોધવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે બીજી તરફ અંધશ્રદ્ધા, ડાકણ પ્રથા અને અજ્ઞાનતાના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. વિકાસ માત્ર રસ્તા અને ટેકનોલોજીથી નહીં, પરંતુ સમાજની વિચારસરણી બદલાય ત્યારે સાચો ગણાય અને તેથી જ હવે જરૂર છે શિક્ષણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને જાગૃતિના પ્રકાશને છેવાડાના માનવી સુધી પહોંચાડવાની. જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ અંધશ્રદ્ધાનો ભોગ ન બને.
જાથાએ રાજયના ડી.જી.પી. ગાંધીનગર રેન્જ આઈ.જી.પી., સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા, કલેકટર, ડીવાય.એસ.પી. નો વિશેષ આભાર માન્યો હતો. ચિઠોડા પોલીસ સ્ટેશને ઉત્તમ કામગીરી કરતાં પી.આઈ. મેડમ તરાલનો આભાર માન્યો હતો. હિંમતનગરમાં જાથાના પ્રશંસક પંકજભાઈ ધુવાડ, રેશનાલીસ્ટ રોહિત દરજી (કર્મ) ને મળી મુલાકાત કરી હતી.
ડાકણ શબ્દ પ્રયોગ કાનુની અપરાધ છે. રાજયમાં મહિલાને સામાજિક બહિષ્કારના કિસ્સામાં જાણકારી પુરાવા સાથે આપવા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.
ફોટો તસ્વીરઃ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી વોકડા ગામે ડાકણનો ભોગ બનેલ પરિવારની મુલાકાત લેતા વિજ્ઞાન જાથાના જયંત પંડયા, પરિવાર દ્રષ્ટિપાત થાય છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના સુપ્રસિદ્ધ અખબારમાં મેટર ફોટા સાથે પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.
ભારત જન વિજ્ઞાન જથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











