મંગળવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો
વિશ્વભરમાં રોમાંચકારી ખગોળીય ઘટના.
ગ્રહણની અવધિ ૦૪ કલાક ૩૧ મિનિટ.
સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી.
અમુક સ્થળે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળશે.
ચંદ્ર કે સૂર્યગ્રહણો અવકાશી પરિભ્રમણ-ભૂમિતિની રમત.
ભારતમાં ગ્રહણ સંબંધી વેદાધિ નિયમો, સૂતક-બૂતક બોગસ.
આ ગ્રહણ પેસિફિક, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, એટલાન્ટિક, ફિઝીમાં જોવા મળશે.
વિજ્ઞાન જાથા દેશભરમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.
અમદાવાદ : દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં મંગળવાર તા. ૧૭ મી ફેબ્રુઆરીએ કંકણાકૃતિ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહિ. વિશ્વભરમાં રોમાંચકારી ખગોળીય ઘટના નિહાળવા લાખો-કરોડો લોકો ઈન્તજાર કરી રહ્યા છે. આ ગ્રહણ દક્ષિણ આર્જેન્ટીના, ચિલી, દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, પેસિફિક, ફીઝીમાં જોવા મળવાનું છે. ભારત જન વિજ્ઞાન જાથા દેશભરમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. ગ્રહણની અવધિ ૦૪ કલાક ૩૧ મિનિટની છે.
સંવત ર૦૮ર મામસ કૃષ્ણપક્ષ અમાસને મંગળવાર તા. ૧૭ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ કુંભરાશિ અને ઘનિષ્ઠા નક્ષત્રમાં થનારૂ કંકણાકૃતિ સૂર્યગ્રહણની અદભુત ખગોળીય ઘટના બનવાની છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણનો અદ્દભુત નજારો આ ગ્રહણ ખંડગ્રાસ સ્વરૂપે દક્ષિણ આર્જેન્ટિના, ચિલી, દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકાના અમુક ભાગમાં ઉપરાંત પોર્ટ લુઈસ, સેન્ટ ડેનિસ, એમ્બોવોમ્બે, એન્ટાનાનારીયો, ટોમસિના, ફિયાનારન્ટસોઆ, મોરોન્ડાવા, મનકારા, અંતસિરાએ, મહાનોરોમાં પણ જોવા મળશે.
ભૂમંડલે ગ્રહણ સ્પર્શ ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૫ કલાક ૨૬ મિનિટ ૨૬ સેકન્ડ, ગ્રહણ સંમિલન ઃ ૧૭ કલાક ૧૨ મિનિટ ૫૪ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૭ કલાક ૪૨ મિનિટ ૦૪ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૮ કલાક ૧૧ મિનિટ ૨૯ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૧૯ કલાક ૫૭ મિનિટ ૪૨ સેકન્ડ, ગ્રહણનું ગ્રાસમાન : ૦.૯૬૩, સંપૂર્ણ ગ્રહણ કાળ : ૦૪ કલાક ૩૧ મિનિટનો રહેશે. કંકણાકૃતિ ગ્રહણનો કુલ સમય ૦૨ મિનિટ ૨૦ સેકન્ડ અદ્દભુત જોવા મળશે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે ભારતમાં ગ્રહણ દેખાશે નહિ છતાં રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ગામે ગામે આપનાર છે. અવકાશી ચંદ્રગ્રહણો કે સૂર્યગ્રહણો માત્ર ને માત્ર અવકાશી પરિભ્રમણ અને ભૂમિતિની રમત છે. ગ્રહણોની ખગોળીય ઘટનાનો વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો માટે કરે છે. આ વર્ષે વિશ્વના વૈજ્ઞાનિકો દક્ષિણ આર્જેન્ટીના, ચિલિ, દક્ષિણ આફ્રિકા, પેસેફિક, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકામાં પડાવ નાખી દીધો છે. તેઓ ગ્રહણની અસરો, સંશોધનો, પશુ-પક્ષી અને તેની ગતિવિધિનો અભ્યાસ કરે છે અને ટી.વી. ઉપર ગ્રહણ કેવી રીતે થાય છે તે નજરોનજર બતાવવામાં આવે છે. કરોડો માઈલ દૂર ગ્રહણ થાય છે તેની માનવજીવન ઉપર કશી જ અસર થતી નથી તેવી હકિકત મુકે છે. માનવ સુખાકારીની ચિંતા કરતા હોય છે. જયારે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જૂની રદ્દી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે. માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સૂતક–બૂતક ઠોકી, શારીરિક-માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ કર્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી કે જીવન પદ્ધતિ ઉપર કશી જ અસર કોઈપણ પ્રકારે થતી નથી છતાં ભારતમાં ગ્રહણ સમયે દાન-પુણ્ય, જપ-તપ, સ્નાન કરવું, રાશિ ફળકથનો અને દોષ નિવારણના નામે લેભાગુઓ છેતરપિંડીનું કામ કરે છે તેનો જાથા સદૈવ વિરોધ કરે છે. સદીઓથી લેભાગુઓના મિલાપીપણાના કારણે દેશમાં ગુમરાહ-ભ્રામકતા ફેલાવવાનું કામ જોવા મળે છે. ગ્રહણ સમયે લેભાગુઓ પોતાની આજીવિકા-રોટલા માટે યેનકેન માનવીનું શોષણ કરે છે તેની સામે જાથા જાગૃતિ કાર્યક્રમો આપી નકારાત્મક, અવૈજ્ઞાનિક ફળકથનો, આગાહીઓની હોળી કરે છે. જેથી જાથાએ સમગ્ર દેશમાં અભિયાન હાથ ધર્યું છે.
વધુમાં એડવોકેટ પંડયાએ જણાવ્યું કે જાથાની રાજય અને રાષ્ટ્રીય કચેરી ખંડગ્રાસ અને કંકણાકૃતિ સૂર્યગ્રહણની અલભ્ય તસ્વીરો લોકો સમક્ષ મુકશે. સાડા ચાર કલાકની ગ્રહણની ગતિવિધ ટી.વી. ઉપર અદ્દભુત જોવા મળશે. ગ્રહણ કેવી રીતે થાય છે તે નજરોનજર બતાવવામાં આવે છે. રાજયમાં જાથાની રાજય કચેરી અને પ્રાદેશિક કચેરી તેની શાખાઓ ગ્રહણ સંબંધી જાણકારી, લોકચળવળ ઉભી કરવા કાર્યક્રમો આપનાર છે. લેભાગુઓના ફળકથનો અને પંચાગનું ગતકડું મુકવામાં આવે છે કે ભારતમાં ગ્રહણ દેખાશે નહિ એટલે ગ્રહણ પાળવાનું નથી. આ એક પ્રકારનું ગતકડું જ છે. ફળકથનોનો, લેભાગુઓનો, આગાહીકારોનો વિશ્વાસ કરવો નહિ. ગ્રહણ વખતે રાશિ ફળકથનો, નિવારણ વિધિઓ, ભૌગોલિક અસર વિગેરે લેભાગુઓના મનની પેદાશ છે. હકિકત નથી તેથી કોઈપણ જાતના કર્મકાંડ કરવાની જરૂર નથી. જાથાએ પોતાના વિચાર રજૂ કર્યા છે, માનવું કે માનવું સૌને હક્ક છે.
વિશેષમાં એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે સારી-ખરાબ, શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની ઘટના ભૌગોલિક પરિસ્થિતિ, પ્રાકૃતિક – કુદરતી નિયમો અનુસાર બને જ છે તેને કોઈ અટકાવી શકતું નથી કે રોકી શકતું નથી. તેને જપ-તપ, અનુષ્ઠાન, પૂજાવિધ કે અન્ય કોઈપણ પ્રકારના ક્રિયાકાંડોના ગતકડા, આશીર્વાદ કે કૃપાદ્રષ્ટિ સાથે કશી જ લેવા-દેવા નથી. લેભાગુઓ સદીઓથી નિરાધાર વાતો મુકી અમંગળ ઘટના બતાવી લોકોને મુર્ખ બનાવે છે. હોમ-હવન, જપ-તપ, અનુષ્ઠાન વિગેરેને અનુસરવું તે માનસિક અધઃપતન સાથે સમયની બરબાદી જ છે. ગ્રહણની લેભાગુઓ દર્શાવે છે તેવી કોઈપણ ભૌગોલિક અસર જોવા મળતી નથી. તેની પાસે એક પણ વૈજ્ઞાનિક ઉપકરણ નથી. હંબક વાતો કરે છે. લોકોને ઉઠા ભણાવે છે. મંદિર-દેવસ્થાન બંધ રાખવા, ગોળાનું પાણી ફેંકી દેવું, રાંધેલું અનાજ, પથારીનો ત્યાગ કરવો વિગેરે વર્ષો પૂર્વે બોગસ કહાની-કથનો છે. તેને ગ્રહણ સાથે કશી જ લેવા-દેવા નથી. માનવીએ ચંદ્ર-મંગળ ઉપર પગ મુકી દીધો છે છતાં પણ ભારતમાં માનસિક નબળા લોકો ચંદ્ર-મંગળની વીંટીઓ, હાથના આંગળામાં પહેરી છિન્ન મનોવૃત્તિના દર્શન કરાવી તેના મંત્ર-જાપ કરી નંગની વીંટી પહેરી મુર્ખામીનું પ્રદર્શન કરે છે. રાજયમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજ કાર્યક્રમો આખરી તબક્કામાં છે.
જાથાની વિચારધારા સાથે સંમત તથા માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.
માન. તંત્રીશ્રી
આપશ્રીના અખબારમાં વિગતવાર પ્રસિદ્ધ કરી આભારી કરશોજી. ઈ-મેઈલમાં મોકલેલ છે. આ૫ સાહેબને મેટર પ્રસારિત કરવા પ્રાર્થના છે.
ભારત જન વિજ્ઞાન જાથા
મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯
રિપોર્ટર દામજીભાઈ વેકરીયા











